પસંદગી એટલે પોતાના નિર્ણયની સંમતિ. જન્મ અને મરણ વચ્ચેના જીવનનું જે કંઈ તે આપણી પોતાની પસંદગી છે. જીવન પસંદગીઓથી ભરપૂર છે. જીવનમાં ડગલે ને પગલે પસંદગી કરવાની હોય છે; શું બોલવું, શું કરવું, શું ખાવું, શું પીવું, શું પહેરવું???? વગેરે વગેરે… “કોઈ જ પસંદગી ન કરવી, એ પણ એક પસંદગી જ છે!”

ગ્રીક ફિલોસોફર પાયથાગોરસ જણાવે છે કે આપણું ભાવિ એ આપણી પસંદગીઓ પર આધાર રાખે છે. વ્યક્તિની પોતાની પસંદગીઓ જ તેના ઘડતર અને પતનને માટે જવાબદાર હોય છે, અને એટલે જ ફ્રેંચ લેખક આલ્બર્ટ કેમ્સ જણાવે છે કે, “વ્યક્તિનું ચારિત્ર્ય એ તેની પસંદગીઓનો સરવાળો છે.”

અભ્યાસ, કારકિર્દી અને લગ્ન – આ પસંદગીઓને જીવનની મહત્વની પસંદગીઓ માનવામાં આવે છે અને તેના વિષે આપણે ગંભીર રીતે વિચારીએ છીએ અને તેમાં સફળતા મળે તે માટે પ્રયત્ન કરીએ છીએ અને એટલે જ તો કહેવાય છે ને કે “સારી નોકરી મળે તો સારી છોકરી મળે (સારી જીવનસાથી)! જયારે કોઈ વ્યક્તિને ઉપરોક્ત ત્રણેય પસંદગીમાં સફળતા મળે ત્યારે આપણા શબ્દો આ હોય છે: આની તો જીંદગી બની ગઈ!

જીવનને સુખી કરવા માટે ઉપરોક્ત ત્રણ પસંદગીની સફળતા જરૂરી છે પરંતુ જીવનને આશીર્વાદિત બનાવવા માટે એક પસંદગી અનિવાર્ય છે, અને એ છે ઈશ્વરને જીવનમાં સ્વીકારવા. જીવનની બધી જ પસંદગીઓ કરતાં શ્રેષ્ઠ પસંદગી તો ઈશ્વરને જીવનમાં સ્થાન આપવાની છે. કારણ કે ઈશ્વરે જ તો આપણને પસંદગી કરવાની છૂટ આપી છે. ઈશ્વરે માણસને રોબોટ બનાવ્યો નથી. બીજા અર્થમાં ઈશ્વરે માણસને પોતાના જીવન ઘડતર માટેની પસંદગીઓ કરવાની છૂટ આપી છે. બાઈબલ પુનર્નિયમ ૩૦:૧૯માં જણાવે છે કે, “…મેં આજે તારી આગળ જીવન તથા મરણ, આશીર્વાદ તથા શાપ મૂક્યાં છે; માટે જીવન પસંદ કર…”

પ્રભુ ઈસુને જીવનમાં સ્વીકારવાની પસંદગી જીવનની દરેક પસંદગીઓને સફળ બનાવે છે છતાં આપણામાંના ઘણાં તેમને સ્વીકારવાને માટે ગંભીર રીતે વિચારતા નથી. તેઓ તો હંમેશા અભ્યાસ, કારકિર્દી, લગ્ન, મનોરંજન અને રૂપિયા/પૈસા વિશે જ વિચારતા હોય છે. વિદ્યાથીઓ ઉચ્ચ ગુણ મેળવવા માટે ઉજગરા કરીને વાંચે છે, પણ શું બાઈબલ વાંચવા માટે આ વિદ્યાથીઓ પાસે સમય છે? માતા-પિતા તેમના બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે તેમને શિક્ષા કરીને, ઠપકો આપીને, સમજાવીને પણ તેને સારો અભ્યાસ કરવાની પ્રેરણા આપે છે, પણ તેને બાઈબલ વાંચવા માટે કે ચર્ચ કે આત્મિક સંગતમાં ભાગ લેવા માટે એટલા જ જુસ્સાથી કહેવામાં આવે છે? અને જો દીકરો-દીકરી તે પ્રમાણે નથી કરતા તો તેમને શિક્ષા કે ઠપકો આપવામાં આવે છે? દીકરા કે દીકરીના લગ્નને માટે માતા-પિતાને ખૂબ ચિંતા છે પરંતુ તેઓને તેમના દીકરા/દીકરીએ પ્રભુને જીવન સમર્પણ કર્યું છે કે નહિ તે વિષેની ચિંતા કેટલી?

 

હું એમ નથી કહેતો કે આ અભ્યાસ, કારકિર્દી, લગ્ન, મનોરંજન વિષે વિચારવું જ ના જોઈએ પરંતુ આ બધામાં ઈશ્વરનું સ્થાન અને ઈશ્વરની ઈચ્છાની પસંદગી પ્રથમ હોવી જોઈએ. કારણ કે જયારે આપણા જીવનની પસંદગીઓમાં ઈશ્વરનું સ્થાન પ્રથમ હોય  છે ત્યારે બીજી પસંદગીઓમાં સફળતાની ગેરંટી છે. કારણ કે લોકોની પસંદગી બાહ્ય દેખાવ તરફ હોય છે જયારે ઈશ્વર આંતરિક મનુષ્યત્વને પારખે છે.

પ્રભુ ઈસુની પસંદગી જ જીવનની દરેક પસંદગીઓને આશીર્વાદરૂપ બનાવવાની ચાવી છે. તો આવો પ્રભુ ઈસુની પસંદગી કરીને જીવનને આશીર્વાદિત બનાવીએ.